ચોમાસા પહેલાં જ આરોગ્યનો કિલ્લો મજબૂત: વાંકાનેર પંથકમાં આરોગ્ય ટીમનું જનજાગૃતિ અને સુરક્ષા અભિયાન તેજ
Views 91

વાંકાનેર પંથકમાં આવનારા ચોમાસાને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ દ્વારા પ્રજાના આરોગ્યની સુરક્ષા માટે બહુલક્ષીય અને લોકોપયોગી કામગીરી હાથ ધરવામાં આવી છે. જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પી.કે. શ્રીવાસ્તવ તથા જિલ્લા મેલેરિયા અધિકારી ડો. વિપુલ કારોલિયાના માર્ગદર્શન હેઠળ પ્રા. આરોગ્ય કેન્દ્ર સિંધાવદરના તાબા હેઠળ આવેલા આયુષ્યમાન આરોગ્ય મંદિરોમાં વાહકજન્ય રોગો સામે સજ્જતા વધારવા વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.


જૂન માસને ‘મેલેરિયા વિરોધી માસ’ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે, જેના ભાગરૂપે આરોગ્ય કર્મચારીઓ અને આશા બહેનોની ટીમો દ્વારા ગામે-ગામ અને ઘરે-ઘરે જઈ સર્વેલન્સની કામગીરી કરવામાં આવી રહી છે. મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા રોગોને રોકવા માટે ખુલ્લા ટાંકા, કુંડા, જૂના ટાયર સહિત મચ્છરોના પ્રજનન સ્થળોએ પોરાનાશક દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. ઉપરાંત કાયમી પાણી ભરાતા ખાડા-ખાબોચિયામાં પોરભક્ષક ગપ્પી માછલીઓ મૂકીને કુદરતી નિયંત્રણની કામગીરી પણ કરવામાં આવી રહી છે.
શાળાઓ શરૂ થતાં જ વિદ્યાર્થીઓમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવા સ્માર્ટ ટીવી મારફતે મચ્છરોની જીવનચક્ર અને વાહકજન્ય રોગો અંગે માહિતીસભર પ્રસ્તુતિઓ યોજાઈ રહી છે. જેના કારણે નવી પેઢીમાં સ્વચ્છતા અને આરોગ્ય પ્રત્યે જાગૃતિનો સંદેશ પહોંચાડી શકાય છે.બીજી તરફ કેન્દ્ર સરકારના ટીબી મુક્ત ભારત અભિયાન 2.0 અંતર્ગત મોરબી જિલ્લા ટીબી અધિકારી ડો. ધનસુખ અજાણાના માર્ગદર્શન હેઠળ આયુષ્યમાન આરોગ્ય મંદિરોમાં ડિજિટલ એક્સ-રે સ્ક્રીનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ટીબી માટે વધુ સંવેદનશીલ ગણાતા 60 વર્ષથી વધુ ઉંમરના લોકો, ડાયાબિટીસના દર્દીઓ, અગાઉ ટીબી થયેલા દર્દીઓ, ટીબી દર્દીના પરિવારજનો તેમજ ધૂમ્રપાન અને આલ્કોહોલનું સેવન કરતા લોકોનું નિઃશુલ્ક સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું.
હેન્ડ હેલ્ડ (MMU) પોર્ટેબલ મશીન દ્વારા કુલ 152 લાભાર્થીઓના ડિજિટલ એક્સ-રે કરવામાં આવ્યા હતા. સાથે સાથે આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત પાત્ર નાગરિકોને આયુષ્યમાન કાર્ડ પણ કાઢી આપવામાં આવ્યા હતા.

આ સમગ્ર અભિયાન દ્વારા આરોગ્ય વિભાગે માત્ર રોગચાળો અટકાવવાનો પ્રયાસ જ નહીં, પરંતુ લોકો સુધી આરોગ્ય સેવાઓ ઘરઆંગણે પહોંચાડવાની પ્રતિબદ્ધતા પણ દર્શાવી છે. ચોમાસા પહેલાં જ આરોગ્ય તંત્રની સક્રિય કામગીરી પ્રજાના આરોગ્ય માટે આશ્વાસનરૂપ બની રહી છે.
મુખ્ય સંદેશ:મેલેરિયાથી બચવાનો શ્રેષ્ઠ ઉપાય મચ્છરોની ઉત્પત્તિ રોકવી તે જ છે. દરેક નાગરિક અઠવાડિયામાં એક દિવસ ‘ડ્રાય ડે’ તરીકે ઉજવે અને ઘરમાં પાણી ભરાઈ રહેવા ન દે, તો મેલેરિયા મુક્ત સમાજનું નિર્માણ શક્ય બને.” – આરોગ્ય વિભાગ.*

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!